Thursday, February 10, 2011

ગઝલના છંદની સમજ

નમસ્કાર મિત્રો,
        ઘણા મિત્રો ગઝલ લખવા ઇચ્છે છે. ઘણા પોતાની સમજ પ્રમાણે લખીને કોઇ સારા ગઝલકારને બતાવે એટલે ગઝલકારશ્રીનો પ્રથમ પ્રતિભાવ મોટેભાગે આવો હોય છે કે, ‘ગઝલ સરસ છે, પણ છંદમાં નથી.’
આ સાંભળીને ગઝલ લખનાર મિત્રને છંદ શીખવાની તાલાવેલી જાગે છે અને છંદ વિશેના પુસ્તકો લઇ આવે છે પણ પુસ્તકોના આધારે છંદ શીખવાની મજા આવતી નથી. કોઇ ગઝલકારશ્રીના માર્ગદર્શન હેઠળ છંદ બહુ ઝડપથી શીખી શકાય છે. મને પણ ૧૯૯૦માં કવિશ્રી રમેશ પટેલે એક છંદ ‘રમલ’ વ્હાલપૂર્વક શીખવ્યો પછી મેં એ છંદમાં ઘણી ગઝલો રચી અને ત્યાર પછી ૧૯૯૨માં કવિશ્રી નયન દેસાઇ મળ્યા એમણે બીજા કેટલાક છંદોની સમજ આપીને મને ગઝલના ક્ષેત્રમાં સક્ષમ બનાવ્યો. ડૉ. રઇશ મનીઆરે છૂટના મુશ્કેલ નિયમો મને બહુ સાહજિક રીતે શીખવ્યા હતા. એટલે હવે ગઝલના છંદ વિશેની જેટલી સમજ મને  છે એટલી સમજ આ બ્લોગ પર આપવાનું નક્કી કર્યું છે. બીજા સિદ્ધહસ્ત ગઝલકારશ્રીઓનો પણ આમાં સહકાર પ્રાપ્ત થશે તો મને પણ નવું ઘણું શીખવા મળશે. અને હું અહીં બહુ જ સાદી રીતે સમજ આપવા નો પ્રયત્ન કરીશ. ગઝલમાં સરળતા અપેક્ષિત હોય છે તો એના છંદની સમજ પણ સરળ હોવી જોઇએ એમ હું માનું છું.
          ગઝલના છંદ પર જતાં પહેલાં ગઝલનું બંધારણ કેવું હોય છે એ સમજી લઇએ. દા.ત. મારી એક ગઝલ લઇએ..


ઘટમાં તોયે વટમાં જીવ્યા

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

       અહીં શરૂઆતની બે પંક્તિઓ ‘મત્લા’ કહેવાય જેમાં ઉપર–નીચેની પંક્તિઓનો પ્રાસ મળતો હોય છે. આ પ્રાસને જ ‘કાફિયા‘ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીં ‘ત્રાટક, વટ’ વગેરે. અને મત્લાની બંને પંક્તિઓ અને શે‘રની બીજી પંક્તિઓ પછી આવતું પદ ‘–માં જીવ્યા’ એને રદ્દીફ કહેવામાં આવે છે.
       મત્લા પછી આવે છે ‘શે‘ર’ શે‘રમાં મત્લાની જેમ બંને પંક્તિમાં પ્રાસ નથી હોતા પણ બીજી પંક્તિમાં જે પ્રાસ હોય છે એ મત્લાના પ્રાસને મખતો આવે છે. જેમ કે ‘ઘૂંઘટ’
ગઝલના અંતિમ શે‘રમાં જો ગઝલકારનું નામ કે તખલ્લુસ હોય તો એને મક્તાનો શે‘ર કહેવામાં આવે છે. 
દા. ત. ‘સારા–નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’
        જે આવે ગળામાં ઉલટથી એ ગાઇ જવામાં લિજજત છે.
જો કે અંતિમ શે‘રમાં નામ કે તખલ્લુ આવવું જ જોઇએ એવું ફરજિયાત નથી જેમ કે મારી ઉપરોક્ત ગઝલમાં એ નથી.
        ગઝલના બંધારણની આટલી વાત કર્યા પછી. લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરોની વાત કરી લઇએ.
તો બહુ સરળ છે કે ધારો કે બારાખડીમાંથી ‘ક’ની શ્રેણી જોઇએ તો ‘ક, કા, કિ...થી લઇને કઃ’ સુધી. અહી ક, કિ, કુ, કૃ વગેરે લઘુ અક્ષરો ગણાય અને એ સિવાયના ‘કા,કી, કૂ, કે, કો, કૈ, કૌ, કં, કઃ વગેરે’ ગુરુ અક્ષરો ગણાય.
        હવે આવીએ આપણે છંદ ઉપર. 
        સૌથી પહેલો છંદ આપણે લઇએ ‘મુતકારીબ’ 
માપ – લગાગા લગાગા લગાગા લગાગા
 જયાં ‘લ’ છે ત્યાં લઘુ અક્ષરો મૂકી શકાય અને ‘ગા’ છે ત્યાં ગુરુ અક્ષરો
જેમ કે –
        જુઓ આજ કેવો સમન્વય થયો છે!
        લગા ગાલ ગાગા લગાગા લગાગા
તો દોસ્તો, આ જ પંક્તિ ‘જુઓ આજ કેવો સમન્નેવય થયો છે’ –ને આગળ વધારીને ગઝલ થવા દો. હું હરહંમેશ તમારી સાથે છું. તમને મૂંઝવતા કોઇ પણ પ્રશ્નો હોય તો પૂછજો. મને ખ્યાલ હશે એટલું તો આપને જણાવીશ જ પણ જેનો મને ખ્યાલ નહિ હોય એ બીજા વિદ્વાન મિત્રોને પૂછીને પણ યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
                             –કિરણસિંહ ચૌહાણ

સાંનિધ્ય પ્રકાશનની યોજના

hghhghh

Wednesday, February 9, 2011

‘સાંનિધ્ય પ્રકાશન’નું પ્રથમ પગલું ‘પળનું પરબીડિયું’


દોસ્તો,
 સાંનિધ્ય પ્રકાશન’નું પ્રથમ પગલું એટલે સુરતના યુવાન પ્રજ્ઞાચક્ષુ કવિ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલસંગ્રહ પળનું પરબીડિયુંનું પ્રકાશન. જેનું વિમોચન તા.૧૬મી મે, ૨૦૧૦ના રોજ ડૉ. રઇશ મનીઆરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી રૂપિન પચ્ચીગર અને શ્રી ધર્મેશ તમાકુવાળા ઉપસ્થિત રહ્યા હતા. સુંદર પુસ્તક પરિચય ડૉ. વિવેક ટેલરે આપ્યો હતો.  આ ક્ષણે સંગ્રહની મહામૂલી પ્રસ્તાવના લખનાર ડૉ. દિલીપ મોદી તેમજ શ્રી મોહનલાલ વાઘેલા, શ્રી રમેશ પટેલ, શ્રી કમલેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી ગૌરાંગ ઠાકર જેવા દિગ્ગજ સાહિત્યકારોએ પણ હાજરી આપી હતી.
ડૉ. રઈશ મનીઆરે આ પ્રસંગે જણાવ્યું હતું કેએક નવું પ્રકાશન શરૂ થાય છે એનો તો આનંદ છે જ સાથે સાથે એક નવા ગઝલકારનો તાજગીભર્યો ગઝલસંગ્રહ સાહિત્યજગતને મળી રહ્યો છે એનો ખૂબ આનંદ છે. વળી ગૌરવની ગઝલો વાંચતા ક્યાંય એની દૃષ્ટિવિહીનતા કળાતી નથી. એણે પૂરેપૂરી ખુમારીથી ગઝલો લખી છે.શ્રી રૂપિન પચ્ચીગરે ગૌરવને અઢળક શુભેચ્છઓ પાઠવી હતી. શ્રી ધર્મેશ તમાકુવાળાએ કહ્યું હતું કે ગૌરવની ગઝલો વાંચીને સુખથી બેચેન થઇ શકાય છે અને બેચેનીમાં સુખ મેળવી શકાય છે.
       ડૉ. વિવેક ટેલરે ઝીણવટભર્યા અભ્યાસ સાથે પુસ્તક પરિચય આપતા પળનું પરબીડિયુંબહુ સહજતાથી ઉઘાડી આપ્યું હતું. ગૌરવે જયારે પોતાની હ્રદયસ્પર્શી  જીવનકથા અને સર્જનયાત્રા વર્ણવી ત્યારે સભાખંડમાં કોઇ એવું નહોતું જેની આંખો ભીની ન થઇ હોય. આ પુસ્તકના પ્રકાશનથી ગૌરવ અને એના પરિવારજનોની પ્રસન્નતા જોતા ગૌરવના શિક્ષક તરીકે અને એક પ્રકાશક તરીકે મને જે આનંદ અને સંતોષની લાગણી થઇ એ અવર્ણનીય છે. સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન ધો. ૧૧ના વિદ્યાર્થી અને ઉભરતા કવિ અભિષેક દેસાઇએ કર્યું હતું. પ્રારંભે પ્રાર્થના હિરલ જાજડિયા અને ડિમ્પલ દરજીએ કરી હતી. ગૌરવના મિત્રો રૂપેશ દવે, પ્રીતિ પટેલ અને હેમાંશુ મેવાવાલાએ ગૌરવની ગઝલોનું પઠન કર્યું હતું. અંતે આભારવિધિ મેહુલ પટેલે કરી હતી.
     ગૌરવના થોડા શેર માણીએ
આ જીવ લઇને હાથમાં ભાગે ચરણ સતત
પીછો કરે છે કોઇનું કાતિલ સ્મરણ સતત

પ્રતિબિંબ તારી આંખમાં જોયા પછી થયું,
કે ચાલશે હવે ઘરે દર્પણ ન હોય તો!

આંખનો વિસ્તાર જોતાં એક ચિંતા થાય છે,
સ્વપ્ન મોટું શી રીતે નાની જગામાં સાચવું?


ગૌરવ ગટોરવાળા રચિત ગઝલસંગ્રહ પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ.
પ્રાપ્તિસ્થાન સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત
મો. ૦૯૩૭૪૭ ૩૭૪૦૯ Email- khc150@gmail.com

ગૌરવ ગટોરવાળાનો પરિચય

       ૧૧ વર્ષની બાળ વયે એક માંદગી દરમિયાન દવાના રીએક્શનને કારણે ગૌરવની અશ્રુગ્રંથિઓ સુકાઇ ગઇ પરિણામે એની આંખોની દૃષ્ટિ ચાલી ગઇ. છતાં હિંમત હાર્યા વગર એણે અભ્યાસ ચાલુ રાખ્યો. અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો. જીવનભારતી વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરતો હતો ત્યારે હું શિક્ષક તરીકે શાળામાં દાખલ થયો. ગૌરવે એકવાર એની કાચીપાકી રચનાઓ મને બતાવી. મેં મારાથી શક્ય એટલી ગઝલલેખન વિશે સમજ આપી અને ગૌરવે ગઝલલેખન પાછળ સખત મહેનત શરૂ કરી દીધી અને એક પછી એક સુંદર ગઝલોનું સર્જન કરતો ગયો. એની ગઝલો મોટેભાગે મોઢવણિક જ્ઞાતિના મુખપત્ર જયોતિર્ધરમાં પ્રગટ થતી રહી છે. એણે ગઝલલેખન માટે ઘણા પારિતોષિકો પણ મેળવ્યા છે.
નાની વયે દીકરાની દૃષ્ટિ ચાલી જતા હતાશ થયેલા માતાપિતા દીકરાના જીવનમાં આવેલી આ ગઝલની રોશનીથી ખૂબ રાજી થયાં. ગૌરવની આ ગઝલસાધનામાં એના પિતા મહેશચંદ્ર ગટોરવાળા પણ સતત ખડે પગે રહ્યા ગૌરવના મનમાં રચાતી ગઝલોને કાગળ પર લખવાનું કામ તેઓ જ કરતા રહ્યા છે.
       આજે પળનું પરબીડિયુંનામે ગૌરવની ગઝલો પુસ્તકનું સ્વરૂપ પામી છે ત્યારે આનંદિત થવાનો આપણને સૌને પૂરેપૂરો અધિકાર છે.
કિરણસિંહ ચૌહાણ

Tuesday, February 8, 2011

શુભારંભ

શબ્દ, છંદોલયના આ લાલિત્યમાં,
દોસ્ત, મળતા રહીશું આ ‘સાંનિધ્ય’માં.