નમસ્કાર મિત્રો,
ઘણા મિત્રો ગઝલ લખવા ઇચ્છે છે. ઘણા પોતાની સમજ પ્રમાણે લખીને કોઇ સારા ગઝલકારને બતાવે એટલે ગઝલકારશ્રીનો પ્રથમ પ્રતિભાવ મોટેભાગે આવો હોય છે કે, ‘ગઝલ સરસ છે, પણ છંદમાં નથી.’
આ સાંભળીને ગઝલ લખનાર મિત્રને છંદ શીખવાની તાલાવેલી જાગે છે અને છંદ વિશેના પુસ્તકો લઇ આવે છે પણ પુસ્તકોના આધારે છંદ શીખવાની મજા આવતી નથી. કોઇ ગઝલકારશ્રીના માર્ગદર્શન હેઠળ છંદ બહુ ઝડપથી શીખી શકાય છે. મને પણ ૧૯૯૦માં કવિશ્રી રમેશ પટેલે એક છંદ ‘રમલ’ વ્હાલપૂર્વક શીખવ્યો પછી મેં એ છંદમાં ઘણી ગઝલો રચી અને ત્યાર પછી ૧૯૯૨માં કવિશ્રી નયન દેસાઇ મળ્યા એમણે બીજા કેટલાક છંદોની સમજ આપીને મને ગઝલના ક્ષેત્રમાં સક્ષમ બનાવ્યો. ડૉ. રઇશ મનીઆરે છૂટના મુશ્કેલ નિયમો મને બહુ સાહજિક રીતે શીખવ્યા હતા. એટલે હવે ગઝલના છંદ વિશેની જેટલી સમજ મને છે એટલી સમજ આ બ્લોગ પર આપવાનું નક્કી કર્યું છે. બીજા સિદ્ધહસ્ત ગઝલકારશ્રીઓનો પણ આમાં સહકાર પ્રાપ્ત થશે તો મને પણ નવું ઘણું શીખવા મળશે. અને હું અહીં બહુ જ સાદી રીતે સમજ આપવા નો પ્રયત્ન કરીશ. ગઝલમાં સરળતા અપેક્ષિત હોય છે તો એના છંદની સમજ પણ સરળ હોવી જોઇએ એમ હું માનું છું.
ગઝલના છંદ પર જતાં પહેલાં ગઝલનું બંધારણ કેવું હોય છે એ સમજી લઇએ. દા.ત. મારી એક ગઝલ લઇએ..
ઘણા મિત્રો ગઝલ લખવા ઇચ્છે છે. ઘણા પોતાની સમજ પ્રમાણે લખીને કોઇ સારા ગઝલકારને બતાવે એટલે ગઝલકારશ્રીનો પ્રથમ પ્રતિભાવ મોટેભાગે આવો હોય છે કે, ‘ગઝલ સરસ છે, પણ છંદમાં નથી.’
આ સાંભળીને ગઝલ લખનાર મિત્રને છંદ શીખવાની તાલાવેલી જાગે છે અને છંદ વિશેના પુસ્તકો લઇ આવે છે પણ પુસ્તકોના આધારે છંદ શીખવાની મજા આવતી નથી. કોઇ ગઝલકારશ્રીના માર્ગદર્શન હેઠળ છંદ બહુ ઝડપથી શીખી શકાય છે. મને પણ ૧૯૯૦માં કવિશ્રી રમેશ પટેલે એક છંદ ‘રમલ’ વ્હાલપૂર્વક શીખવ્યો પછી મેં એ છંદમાં ઘણી ગઝલો રચી અને ત્યાર પછી ૧૯૯૨માં કવિશ્રી નયન દેસાઇ મળ્યા એમણે બીજા કેટલાક છંદોની સમજ આપીને મને ગઝલના ક્ષેત્રમાં સક્ષમ બનાવ્યો. ડૉ. રઇશ મનીઆરે છૂટના મુશ્કેલ નિયમો મને બહુ સાહજિક રીતે શીખવ્યા હતા. એટલે હવે ગઝલના છંદ વિશેની જેટલી સમજ મને છે એટલી સમજ આ બ્લોગ પર આપવાનું નક્કી કર્યું છે. બીજા સિદ્ધહસ્ત ગઝલકારશ્રીઓનો પણ આમાં સહકાર પ્રાપ્ત થશે તો મને પણ નવું ઘણું શીખવા મળશે. અને હું અહીં બહુ જ સાદી રીતે સમજ આપવા નો પ્રયત્ન કરીશ. ગઝલમાં સરળતા અપેક્ષિત હોય છે તો એના છંદની સમજ પણ સરળ હોવી જોઇએ એમ હું માનું છું.
ગઝલના છંદ પર જતાં પહેલાં ગઝલનું બંધારણ કેવું હોય છે એ સમજી લઇએ. દા.ત. મારી એક ગઝલ લઇએ..
ઘટમાં તોયે વટમાં જીવ્યા
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.
આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.
આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!
જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.
સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!
અહીં શરૂઆતની બે પંક્તિઓ ‘મત્લા’ કહેવાય જેમાં ઉપર–નીચેની પંક્તિઓનો પ્રાસ મળતો હોય છે. આ પ્રાસને જ ‘કાફિયા‘ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીં ‘ત્રાટક, વટ’ વગેરે. અને મત્લાની બંને પંક્તિઓ અને શે‘રની બીજી પંક્તિઓ પછી આવતું પદ ‘–માં જીવ્યા’ એને રદ્દીફ કહેવામાં આવે છે.
મત્લા પછી આવે છે ‘શે‘ર’ શે‘રમાં મત્લાની જેમ બંને પંક્તિમાં પ્રાસ નથી હોતા પણ બીજી પંક્તિમાં જે પ્રાસ હોય છે એ મત્લાના પ્રાસને મખતો આવે છે. જેમ કે ‘ઘૂંઘટ’
ગઝલના અંતિમ શે‘રમાં જો ગઝલકારનું નામ કે તખલ્લુસ હોય તો એને મક્તાનો શે‘ર કહેવામાં આવે છે.
દા. ત. ‘સારા–નરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’
જે આવે ગળામાં ઉલટથી એ ગાઇ જવામાં લિજજત છે.
જો કે અંતિમ શે‘રમાં નામ કે તખલ્લુ આવવું જ જોઇએ એવું ફરજિયાત નથી જેમ કે મારી ઉપરોક્ત ગઝલમાં એ નથી.
ગઝલના બંધારણની આટલી વાત કર્યા પછી. લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરોની વાત કરી લઇએ.
તો બહુ સરળ છે કે ધારો કે બારાખડીમાંથી ‘ક’ની શ્રેણી જોઇએ તો ‘ક, કા, કિ...થી લઇને કઃ’ સુધી. અહી ક, કિ, કુ, કૃ વગેરે લઘુ અક્ષરો ગણાય અને એ સિવાયના ‘કા,કી, કૂ, કે, કો, કૈ, કૌ, કં, કઃ વગેરે’ ગુરુ અક્ષરો ગણાય.
હવે આવીએ આપણે છંદ ઉપર.
સૌથી પહેલો છંદ આપણે લઇએ ‘મુતકારીબ’
માપ – લગાગા લગાગા લગાગા લગાગા
જયાં ‘લ’ છે ત્યાં લઘુ અક્ષરો મૂકી શકાય અને ‘ગા’ છે ત્યાં ગુરુ અક્ષરો
જેમ કે –
જુઓ આજ કેવો સમન્વય થયો છે!
લગા ગાલ ગાગા લગાગા લગાગા
તો દોસ્તો, આ જ પંક્તિ ‘જુઓ આજ કેવો સમન્નેવય થયો છે’ –ને આગળ વધારીને ગઝલ થવા દો. હું હરહંમેશ તમારી સાથે છું. તમને મૂંઝવતા કોઇ પણ પ્રશ્નો હોય તો પૂછજો. મને ખ્યાલ હશે એટલું તો આપને જણાવીશ જ પણ જેનો મને ખ્યાલ નહિ હોય એ બીજા વિદ્વાન મિત્રોને પૂછીને પણ યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
–કિરણસિંહ ચૌહાણ