Wednesday, February 9, 2011

‘સાંનિધ્ય પ્રકાશન’નું પ્રથમ પગલું ‘પળનું પરબીડિયું’


દોસ્તો,
 સાંનિધ્ય પ્રકાશન’નું પ્રથમ પગલું એટલે સુરતના યુવાન પ્રજ્ઞાચક્ષુ કવિ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલસંગ્રહ પળનું પરબીડિયુંનું પ્રકાશન. જેનું વિમોચન તા.૧૬મી મે, ૨૦૧૦ના રોજ ડૉ. રઇશ મનીઆરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી રૂપિન પચ્ચીગર અને શ્રી ધર્મેશ તમાકુવાળા ઉપસ્થિત રહ્યા હતા. સુંદર પુસ્તક પરિચય ડૉ. વિવેક ટેલરે આપ્યો હતો.  આ ક્ષણે સંગ્રહની મહામૂલી પ્રસ્તાવના લખનાર ડૉ. દિલીપ મોદી તેમજ શ્રી મોહનલાલ વાઘેલા, શ્રી રમેશ પટેલ, શ્રી કમલેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી ગૌરાંગ ઠાકર જેવા દિગ્ગજ સાહિત્યકારોએ પણ હાજરી આપી હતી.
ડૉ. રઈશ મનીઆરે આ પ્રસંગે જણાવ્યું હતું કેએક નવું પ્રકાશન શરૂ થાય છે એનો તો આનંદ છે જ સાથે સાથે એક નવા ગઝલકારનો તાજગીભર્યો ગઝલસંગ્રહ સાહિત્યજગતને મળી રહ્યો છે એનો ખૂબ આનંદ છે. વળી ગૌરવની ગઝલો વાંચતા ક્યાંય એની દૃષ્ટિવિહીનતા કળાતી નથી. એણે પૂરેપૂરી ખુમારીથી ગઝલો લખી છે.શ્રી રૂપિન પચ્ચીગરે ગૌરવને અઢળક શુભેચ્છઓ પાઠવી હતી. શ્રી ધર્મેશ તમાકુવાળાએ કહ્યું હતું કે ગૌરવની ગઝલો વાંચીને સુખથી બેચેન થઇ શકાય છે અને બેચેનીમાં સુખ મેળવી શકાય છે.
       ડૉ. વિવેક ટેલરે ઝીણવટભર્યા અભ્યાસ સાથે પુસ્તક પરિચય આપતા પળનું પરબીડિયુંબહુ સહજતાથી ઉઘાડી આપ્યું હતું. ગૌરવે જયારે પોતાની હ્રદયસ્પર્શી  જીવનકથા અને સર્જનયાત્રા વર્ણવી ત્યારે સભાખંડમાં કોઇ એવું નહોતું જેની આંખો ભીની ન થઇ હોય. આ પુસ્તકના પ્રકાશનથી ગૌરવ અને એના પરિવારજનોની પ્રસન્નતા જોતા ગૌરવના શિક્ષક તરીકે અને એક પ્રકાશક તરીકે મને જે આનંદ અને સંતોષની લાગણી થઇ એ અવર્ણનીય છે. સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન ધો. ૧૧ના વિદ્યાર્થી અને ઉભરતા કવિ અભિષેક દેસાઇએ કર્યું હતું. પ્રારંભે પ્રાર્થના હિરલ જાજડિયા અને ડિમ્પલ દરજીએ કરી હતી. ગૌરવના મિત્રો રૂપેશ દવે, પ્રીતિ પટેલ અને હેમાંશુ મેવાવાલાએ ગૌરવની ગઝલોનું પઠન કર્યું હતું. અંતે આભારવિધિ મેહુલ પટેલે કરી હતી.
     ગૌરવના થોડા શેર માણીએ
આ જીવ લઇને હાથમાં ભાગે ચરણ સતત
પીછો કરે છે કોઇનું કાતિલ સ્મરણ સતત

પ્રતિબિંબ તારી આંખમાં જોયા પછી થયું,
કે ચાલશે હવે ઘરે દર્પણ ન હોય તો!

આંખનો વિસ્તાર જોતાં એક ચિંતા થાય છે,
સ્વપ્ન મોટું શી રીતે નાની જગામાં સાચવું?


ગૌરવ ગટોરવાળા રચિત ગઝલસંગ્રહ પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ.
પ્રાપ્તિસ્થાન સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત
મો. ૦૯૩૭૪૭ ૩૭૪૦૯ Email- khc150@gmail.com

ગૌરવ ગટોરવાળાનો પરિચય

       ૧૧ વર્ષની બાળ વયે એક માંદગી દરમિયાન દવાના રીએક્શનને કારણે ગૌરવની અશ્રુગ્રંથિઓ સુકાઇ ગઇ પરિણામે એની આંખોની દૃષ્ટિ ચાલી ગઇ. છતાં હિંમત હાર્યા વગર એણે અભ્યાસ ચાલુ રાખ્યો. અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો. જીવનભારતી વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરતો હતો ત્યારે હું શિક્ષક તરીકે શાળામાં દાખલ થયો. ગૌરવે એકવાર એની કાચીપાકી રચનાઓ મને બતાવી. મેં મારાથી શક્ય એટલી ગઝલલેખન વિશે સમજ આપી અને ગૌરવે ગઝલલેખન પાછળ સખત મહેનત શરૂ કરી દીધી અને એક પછી એક સુંદર ગઝલોનું સર્જન કરતો ગયો. એની ગઝલો મોટેભાગે મોઢવણિક જ્ઞાતિના મુખપત્ર જયોતિર્ધરમાં પ્રગટ થતી રહી છે. એણે ગઝલલેખન માટે ઘણા પારિતોષિકો પણ મેળવ્યા છે.
નાની વયે દીકરાની દૃષ્ટિ ચાલી જતા હતાશ થયેલા માતાપિતા દીકરાના જીવનમાં આવેલી આ ગઝલની રોશનીથી ખૂબ રાજી થયાં. ગૌરવની આ ગઝલસાધનામાં એના પિતા મહેશચંદ્ર ગટોરવાળા પણ સતત ખડે પગે રહ્યા ગૌરવના મનમાં રચાતી ગઝલોને કાગળ પર લખવાનું કામ તેઓ જ કરતા રહ્યા છે.
       આજે પળનું પરબીડિયુંનામે ગૌરવની ગઝલો પુસ્તકનું સ્વરૂપ પામી છે ત્યારે આનંદિત થવાનો આપણને સૌને પૂરેપૂરો અધિકાર છે.
કિરણસિંહ ચૌહાણ

No comments:

Post a Comment